Cyclone Biparjoy: ગુજરાત હવામાન વિભાગે ચક્રવાત બિપરજોયની સમગ્ર રાજ્ય પર અસર વિશે માહિતી આપી છે. ચાલો વિસ્તૃત માહિતી મેળવીએ.

ચક્રવાત બિપરજોય ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં થશે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના ટ્રેકને લઈને હજુ પણ અસમંજસ પ્રવર્તી રહી છે.

અરબી સમુદ્રમાં ઉભુ થયેલું તોફાન ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાત રાજ્ય પર પડશે. વાવાઝોડાના પરિણામે, રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. (source: IMD)

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાંચ દિવસ સુધી સતત વરસાદ પડવાની ધારણા છે. જેના પગલે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં શુક્રવારથી શરૂ થતા પાંચ દિવસ વરસાદની શક્યતા છે. (source: IMD)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં રાજ્યમાં પવનની ઝડપ વધવાની સંભાવના છે. જો કે, વિભાગ એ પણ જણાવે છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.

આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હાલમાં હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
દરમિયાન, હવામાનશાસ્ત્રી અંબાલાલના જણાવ્યા અનુસાર, જો ચક્રવાત બાયપોરજોય ગુજરાતમાં લેન્ડફોલ ન કરે અને દરિયામાં વિખેરાય તો પણ તેની અસર રાજ્ય પર પડી શકે છે. આ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. વધુમાં, વાવાઝોડાની ગતિવિધિ શુક્રવારથી જ શરૂ થવાની ધારણા છે.